Published by : Vanshika Gor
રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે. ત્યારે રાજ્યમાં મંજૂરી વિના ધમધમતી પ્રિ-પ્રાયમરી સ્કૂલોની પણ હવે ફરજીયાત નોંધણી કરાશે.
બાલ વાટિકાઓની નોંધણી ફરજીયાત
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગની મંજૂરી વિના ચાલતી અને બેફામ ફી ઉઘરાવતી સ્કૂલો અને તેમાં ભણતા બાળકોની ફરજિયાત નોંધણી કરાશે. જેના માટે રાજ્ય સરકાર એક ખાસ પોલિસી પણ બનાવશે. રાજ્યમાં એક અંદાજા મુજબ 53 હજારની આસપાસ બાલ વાટિકા ચાલે છે. જેમાં અંદાજે 3થી 6 વર્ષ સુધીના 20 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં બાળકના પોષણ પર પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ. જો કે હવે બાલ વાટિકામાં બાળકોના પોષણની સાથે શિક્ષણ પર પણ ધ્યાન આપવામાં આવશે.
સરકારના 4 વિભાગોની મળેલી બેઠકમાં ગાઇડલાઇનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે અને સરાકરની મંજૂરી માટે મોકલાયો છે. શક્યતા છે કે આગામી 3 મહિનામાં સરકાર નવી પોલિસી જાહેર કરી શકે છે.વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છૂટ આપવા અને આ વર્ષ પુરતુ 1 લી જૂને 6 વર્ષ પુરા થયા ન હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની માગ કરવામાં આવી છે. જો કે નિયમમાં કોઈ છૂટ કે ગ્રેસિંગ આપવાની સરકારની કોઈ યોજના નથી.




